18 January 2014

શિક્ષકોની ન્યાયિક માંગણી સામે આખરે સરકારે નમતું જોખ્યું.

શિક્ષકોની ન્યાયિક માંગણી સામે આખરે સરકારે નમતું જોખ્યું...


સરકાર દ્વારા રાજ્યમાં કેટલીક ઉચ્ચતર માધ્યમીક શાળાઓને ક્રમિક ગ્રાન્ટેડ કરવામાં આવતા છટણી કરાયેલા શિક્ષકો દ્વારા છેલ્લા ૮ દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન આદરવામાં આવ્યુ છે. શિક્ષકોનાં ૧૧ દિવસનાં ઉપવાસ બાદ શિક્ષણ વિભાગે જે તે જીલ્લાની ક્રમીક ગ્રાન્ટેડ શાળાઓમાંથી છુટા કરવામાં આવેલા શિક્ષકોની પ્રોફાઇલ અંગે રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે. બીજી તરફ શિક્ષણમંત્રીએ શિક્ષકોને હૈયાધારણા આપતા ઉપવાસી શિક્ષકોએ શુક્રવારે પારણા કર્યા હતા. રાજ્યની આશરે ૧પ જેટલી નોન ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓને સરકાર દ્રારા ક્રમિક ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા ગ્રાન્ટેડ કરવામાં આવતા આ શાળાઓમાં વર્ષોથી કામ કરતા શિક્ષકોને હાંકી કાઢવામાં આવ્યા હતા. જેના પગલે આ પ્રકારે છટણી કરાયેલા ૧પ૦ જેટલા શિક્ષકો દ્રારા પોતાને વિનિયમીત કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે છેલ્લા ૧૧ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. આંદોલનનાં દિવસો દરમિયાન અનેક વખત શિક્ષણ વિભાગની મુલાકાત લઇને રજુઆતો કરી શિક્ષણમંત્રીનું પણ આ દિશામાં ધ્યાન દોરવામાં આવ્યુ છે. શિક્ષકોની આ ન્યાયીક રજુઆતને ઘ્યાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા જે તે જીલ્લાનાં શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને તેઓનાં જિલ્લાની ક્રમીક ગ્રાન્ટેડ કરાયેલી શાળાઓમાં ફરજ બજાવતા આવા શિક્ષકોનાં પ્રોફાઇલનો રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. બીજી તરફ ગાંધીનગર ગાંધીનગર ઉતર બેઠકનાં ધારાસભ્ય અશોકભાઇ પટેલે આંદોલન છાવણી ખાતે શિક્ષકોની મુલાકાત લઇને જણાવ્યુ હતુંકે તમારી ન્યાયીક માંગણી અંગે તેમણે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરી છે. જેમાં તેઓ દ્વારા સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે. જેના પગલે સરકાર આગામી દિવસોમાં શિક્ષકોનાં હિ‌તમાં નિર્ણય લેશે તેવી હૈયાધારણા આપી અશોકભાઇ તથા શહેર મેયર મહેન્દ્રસિંહ રાણાએ શિક્ષકોને પારણા કરાવ્યા હતા. જેના પગલે ૧૧ દિવસનાં આંદોલન બાદ શિક્ષકોએ પોતાનું આંદોલન સંકેલી લીધુ હતું.

No comments: